પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે બેના મોત નિપજાવનાર બેફામ બાઈક ચાલકને કરાલી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

રોડ કિનારે બેઠેલા ત્રણ મિત્રોને અડફેટે લઈ નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

     છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે ગમખ્વાર અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા બાઈક ચાલકને પકડવામાં કરાલી પોલીસને સફળતા મળી છે. પૂરપાટ ઝડપે બાઈક હંકારી બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજાવનાર આરોપી મકાભાઈ ચંદુભાઈ રાઠવાને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

          પાવીજેતપુરના બોરધા ગામે નાની આમરોલ રોડ પર આવેલ આંબલીના ઝાડ નીચે બેઠેલા યોગેશભાઈ નાયક, બકાભાઈ રાઠવા અને અંબુભાઈ રાઠવાને ગામના જ મકાભાઈ ચંદુભાઈ રાઠવાએ પોતાની મોટરસાયકલ થી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બકાભાઈ અને અંબુભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે યોગેશભાઈને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાઈક મૂકીને આરોપી નાસી છૂટ્યો હતો.

        ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી મકાભાઈ ચંદુભાઈ રાઠવા (રહે. બોરધા) ને પકડી પાડી તેની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

       બે નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજાવનાર આરોપી ઝડપાઈ જતા પંથકમાં કરાલી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. હાલમાં મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છે, પરંતુ આરોપી પકડાઈ જતા ન્યાય મળવાની આશા બંધાઈ છે.