પાવીજેતપુરના કલારાણી ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ સંપન્ન: ૧૭ ગામના નાગરિકોએ લીધો સરકારી યોજનાઓનો લાભ
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સીધો સંવાદ: ૫૫ જેટલી યોજનાકીય સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રને લોકોના દ્વાર સુધી લઈ જવાના ઉમદા હેતુ સાથે પાવીજેતપુર તાલુકાના કલારાણી ગ્રામ પંચાયત ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૭ ગામોના ક્લસ્ટરના નાગરિકો માટે ૧૬ વિવિધ વિભાગોની ૫૫ જેટલી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં કાર્યરત વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સેવાઓના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ હાજર રહેલા નાગરિકો સાથે સીધો વાર્તાલાપ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને તમામ સેવાઓ પારદર્શક રીતે અને નિયમોનુસાર સમયમર્યાદામાં મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેવા સેતુ કાર્યક્રમમાં કલારાણી સહિત આસપાસના ૧૭ ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં: સજવા, થાભલા, આંબાલાલ, કરજવાટ, જીત નગર, વાંકલા, મોરાડુંગરી, કરાલી, કરસન, કલારાણી, હરીપુરા, કોસુમ, મજીગામ, દેવમોરી, અને ગજરા જેવા ગામોનો સમાવેશ થાય છે.
નાગરિકોને પોતાના કામ માટે તાલુકા કે જિલ્લા કચેરી સુધી લાંબા ન થવું પડે તે માટે કુલ ૧૬ વિભાગોની ૫૫ સેવાઓ જેવી કે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ અપડેટ, આરોગ્યલક્ષી યોજનાઓ અને મહેસૂલી સેવાઓનો સ્થળ પર જ નિકાલ કરી લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોએ સરકારના આ અભિગમને આવકારી વહીવટી તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના અધિકારીઓને લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હતી.
આ સમયે પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર , પાવીજેતપુર મામલતદાર સોનાલીબેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.