વડગામ માં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા..
બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા છે, આ દરોડામાં 'જૈનમ' બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને રૂપિયા 3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો..
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્ય ના હિતમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વિભાગ ના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલ ની ટીમે વડગામના માહી ખાતે ગુડલક એસ્ટેટ ના પ્લોટ નંબર 5900 પર સ્થિત મે. ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી હતી, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પેઢીના માલિક અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ કાયદેસર ના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા..
તપાસ દરમિયાન, પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરીને મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાયું હતું, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કરાયેલી તપાસમાં 'જૈનમ' બ્રાન્ડનું 1 લિટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, ઉપરાંત, ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સુર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા..
આ પેઢી 'જૈનમ' બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા-જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટેના પદાર્થોના કુલ 08 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે..
વિભાગ દ્વારા આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,67,986/- થાય છે. હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા જણાવાયું છે..