અમરેલીઃ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને મિશ્ર ખેતી અપનાવી રહ્યા છે. ખાસ કરીને સૂર્યમુખી જેવા ઓછા ખર્ચે અને ઓછી સંભાળમાં તૈયાર થતા પાકથી તેઓ સારી આવક મેળવી રહ્યા છે. લાઠી તાલુકાનું સાજણ ટિંબા ગામ સૂર્યમુખીની મિશ્ર ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સાજણ ટિંબા ગામે કુલ 29 વીઘા જમીનમાં સૂર્યમુખીનું મિશ્ર ખેતી તરીકે વાવેતર કરાયું છે. આ ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરાઈ રહી છે, જેમાં રસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના છાણિયા ખાતરનો ઉપયોગ કરાયો છે. 5 ફૂટના અંતરે સૂર્યમુખીનું વાવેતર કરવાથી છોડને પૂરતું પોષણ અને જગ્યા મળે છે, જેના પરિણામે ઉત્પાદન સારું મળે છે.
ધોળકિયા ફાઉન્ડેશનના ખેતી મેનેજર અભયભાઈ ખુગલાએ જણાવ્યું કે, સાજણ ટિંબાની જમીનમાં વાંસ (બાંબુ)ના છોડ સાથે ચણા અને સૂર્યમુખીનું મિશ્ર વાવેતર કરાયું છે. વાંસનું ઉત્પાદન શરૂ થવામાં આશરે 8 વર્ષ લાગતાં હોવાથી ત્યાં સુધી મજૂરી અને જાળવણી ખર્ચ કાઢવા સૂર્યમુખીનો પાક ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે.
અભયભાઈના જણાવ્યા અનુસાર, એક સૂર્યમુખીના ફૂલમાંથી આશરે 500 ગ્રામથી 1 કિલો સુધીનું ઉત્પાદન મળે છે. બજારમાં સૂર્યમુખીના દાણાનો ભાવ 20 કિલોદીઠ રૂ. 800થી 1200 સુધી મળે છે, જેનાથી ખેડૂતોને સારી આવક થાય છે. હાલ 29 વીઘામાં વાવેતર કરાયેલા સૂર્યમુખીની કાપણી શરૂ થઈ ગઈ છે અને તેના શરૂઆતના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે.
સૂર્યમુખીનો પાક કોઈપણ ખેતી પદ્ધતિમાં સરળતાથી મિશ્ર રૂપે ઉગાડી શકાય છે. ઓછો સમય, ઓછો ખર્ચ અને સારો બજારભાવ હોવાને કારણે આ પાક ખેડૂતો માટે આવક વધારવાનું એક મહત્ત્વપૂર્ણ સાધન બન્યો છે. અમરેલી જિલ્લામાં સૂર્યમુખીની આ મિશ્ર ખેતી હવે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.