ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે આજે (31 જુલાઇ) સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને 'વોર્નિંગ સ્ટેજ' પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.