ગુજરાતમાં કોંગ્રેસના મોટાભાગના જૂના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે હવે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપી દીધો છે.

ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત અભિયાનમાં ભાજપે ચલાવેલી ઝુંબેશમાં 2012થી અત્યારસુધીમાં કોંગ્રેસના 60 જેટલા મોટા ગજાનાં કહી શકાય તેવા નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.
રાજ્યસભાની 2019ની ચૂંટણી અગાઉ મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા અને જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે આમ, કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહયા છે તે જોતા આગામી દિવસોમાં કોંગ્રેસમાં જુના નેતાઓની કમી ઉભી થશે.