જિલ્‍લા કલેકટર કે. એલ. બચાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગત વર્ષમાં માનવ મૃત્યુ ઘટાડવા, માર્ગ અકસ્માત ઘટાડવા તમામ વિભાગ દ્વારા કરવામાં આવેલ વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાર્કીંગ ઝોન બનાવવો, ફૂટપાથ પરથી લારી ગલ્‍લા દૂર કરવા, વાહનોની ઓવરસ્‍પીડ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાતચીત, રખડતા ઢોરના નિયંત્રણ તેમજ અકસ્‍માત અંગે પ્રજામાં જનજાગૃતિ લાવવા અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી. 

જિલ્લાના સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે, એપ્રોચ રોડ વગેરે સ્થળોએ ચાલુમાસમાં કરેલ જરૂરી કાર્યવાહીની વિગતો જેવી કે બંપ, ડીવાઇડર, કેટ-આઈ, રૅમ્બલર સ્ટેમ્પ તેમજ અન્ય અકસ્માત નિવારવા લીધેલ પગલાઓ પ્રેઝનટેશન સ્વરૂપે માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

કલેકટર બચાણીએ જિલ્‍લામાં અકસ્‍માતો નિવારણ અંગે કયા પગલા લેવા જોઇએ અને અકસ્‍માત થયા બાદ કરવાની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી નિયમિત અકસ્‍માતો થતા હોય તેવી જગ્‍યાની સુરક્ષા સંબંધી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. 

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર, ચીફ ઓફિસર, આરટીઓના અધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.