વલસાડમાં છેલ્લા 11 વર્ષથી 15 મી ઓગષ્ટના રોજ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આ વર્ષે પણ 1201 બોટલ રકત એકત્ર કરી વલસાડમાં ત્રીજી વખત ઇતિહાસ સર્જ્યો છે.

75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 15-08-2022 સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના ઉપક્રમે વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મેહમાન તરીકે કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, વલસાડ કલેકટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહયા હતા.
આ કેમ્પમાં વલસાડ રકતદાન કેન્દ્ર , પારડી બ્લડ બેંક અને હરિયા બ્લડ બેંકના સહયોગથી રેકોર્ડ 1201 યુનિટ બ્લડ બેગ એકત્ર થઇ હતી.

આ વર્ષે શિબિરમાં હર ઘર તિરંગાના ડેકોરેશન સાથે અયોધ્યા રામમંદિરની થીમ રાખવામાં આવી હતી, જેમાં રકતદાતાનો શ્રીરામ ભગવાનની પ્રતિમા સાથે ફોટો અને 360 ડિગ્રી રોટેટીંગ વિડીયો પાડી સૌને પર્સનલી મોક્લવામાં આવ્યો હતો, દરેક રકતદાતાઓને શ્રીરામ નામનો ખેસ પહેરાવી અને મહાનુભવોનું સ્વાગત ‘ રામાયણ ’ ભેટસ્વરૂપે આપી સમગ્ર હોલમાં ભકિતમય વાતાવરણ ઉભું થયું હતું.

તદુપરાંત રકતદાતાઓને કોરોના તથા અન્ય વાઇરસથી બચવા ફલેમિંગો બ્રાન્ડના માસ્ક – સેનિટાઇઝર તથા પર્યાવરણની જાળવણી માટે છોડ અને પ્લાસ્ટિક બંધ અભિયાન અંતર્ગત શોપિંગ બેગ આપવામાં આવી હતી . કેમ્પમાં માનસી ફાઉન્ડેશન ના સહયોગ થી ફ્રી ઓર્થો કેમ્પ રાખવામાં આવેલ , જેમાં 273 દર્દીઓ ને મેડીકલ પ્રોડકટ ફ્રી માં દેવામાં આવ્યા.

આ ઉપરાંત કેમ્પમાં વલસાડ ક્લેક્ટરશ્રી દ્રારા પ્લાસ્ટિક મુકત વલસાડ માટે ઉમિયા શોપિંગ બેગનું લોચિંગ કરવામાં આવ્યું હતું . આ શિબિરમાં સીટી પોલીસ સ્ટેશન પી.આઇ. દીપકભાઇ ઢોલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં રકતદાન માટે જોડાયા હતા.

પત્રકાર તથા ઇલેકટ્રોનિક મીડિયા ના સહકારથી માનવસેવાના આ કાર્યમાં વધુમાં વધુ રકતદાતાઓ જોડાઇ ઐતિહાસિક રકતદાન ઉત્સવ ઉજવ્યો એ બદલ ઉમિયા ગુપના કેપ્ટન અશોક પટેલે સર્વેનો આભાર માન્યો હતો