ડીસા તાલુકાના જૂનાડીસાના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતા પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમનું બ્રેઇન હેમરેજના કારણે મોત થયું હોવાનું ડૉક્ટરી દ્વારા જાહેર કરાયું હતું. જેથી પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી તમામ સરકારી મંજૂરીઓ મેળવી પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર અંગ પ્રત્યારપણની પ્રક્રિયા કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જેનાથી ચારથી પાંચ જીંદગીઓ બચાવી શકાશે.

ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે રહેતા અને જૂનાડીસા હાઇસ્કૂલના નિવૃત કર્મચારી દિનેશચંદ્ર ચમનલાલ મકવાણાનો માર્ગ અકસ્માત થતા તેમને મગજના ભાગે ઇજાઓ થતા પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી દિનેશચંદ્ર મકવાણાના પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી, પરંતુ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે અને મૃત્યુ બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના પણ અંગ બીજા વ્યક્તિને ઉપયોગમાં આવે તેવા ઉમદા હેતુથી તેમના પત્નિ સવિતાબેન, દિકરા અંકુરભાઈ તેમજ દીકરી અને પરિવારના અન્ય સભ્યો દ્વારા મૃતક સ્વજનના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ભલે તેમના સ્વજન પરિવારમાં હયાત ન હોય પરંતુ બીજાની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી તેમના સ્વજનના શરીરના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ આ અંગદાનની પ્રોસેસ અમદાવાદમાં થતી હતી. જેથી સેવાભાવી સંસ્થાના દિલીપભાઈ અને માવાભાઈ સહિતના ડોક્ટરો અને માવજત હોસ્પિટલના ટ્રસ્ટીઓની જહેમત બાદ પાલનપુર માવજત હોસ્પિટલમાં અંગદાન અંગેની પ્રોસેસની મંજૂરી મેળવી તેમના અંગોનું પ્રત્યારપણ કરવામાં આવ્યું હતું.

આ અંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ માવજત હોસ્પિટલના ડૉ.જયેશ બાવીસીએ જણાવ્યું હતું કે, આ અંગદાન કરવાથી ત્રણથી ચાર લોકોના જીવ બચાવી શકાશે. તેમજ પહેલા અમદાવાદ સુધી અંગદાન કરવા જવું પડતું હતું, પરંતુ હવે પાલનપુર માવજત હોસ્પિટલને આની મંજૂરી મળતા હવે લોકોને અંગદાન માટે અમદાવાદ સુધી જવું નહીં પડે અને પાલનપુરમાં માવજત હોસ્પિટલમાં મૃતક સ્વજનોના અંગોનું દાન કરી અન્ય જીવોને પણ બચાવવામાં મદદરૂપ થઈ શકાશે.