પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર શુક્રવારે વહેલી સવારે ઓવરટેક કરી રહેલા ટ્રક ચાલકે હાઇવે ક્રોસ કરી રહેલા બે યુવકોને ટક્કર મારી હતી. અકસ્માતમાં ભરકાવાડા સહિત બિહારના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પાલનપુર તાલુકાના ભરકાવાડા ગામના ભીખાભાઇ અમરતભાઇ ભાંડવા (ઉ.વ.33) શુક્રવારે રાબેતા મુજબ ઘરેથી ટિફિન લઇ વહેલી સવારે 7 વાગ્યે ભરકાવાડા પાટીયા નજીક આવેલા અમન કન્સલ્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા. જેઓ બિહારના બેગુસરાઇ જિલ્લાના ટેગરા તાલુકાના બાજોપુરાના જયજયરામ જોગેશ્વરામ મહાતો સાથે મજાદર ગામ તરફ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રક ચાલકે વાહનની ઓવર ટેઇક કરતી વખતે બંને યુવકોને ઉછાળ્યા હતા. જેમનું ઘટનાસ્થળે મોત થયું હતુ. આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. દરમિયાન છાપી પોલીસ મથકની ટીમે બંનેના મૃતદેહો વડગામ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડ્યા હતા. આ અંગે મૃતકના ભાઇ મુકુલભાઇ કેશાભાઇ ભાંડવાએ અજાણ્યા ટ્રક ચાલક સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મજાદર હાઇવે ઉપર ગત 12 જૂનના રોજ ત્રિપલ અકસ્માતમાં રાજસ્થાન જઈ રહેલ બહેન- ભાણી સહિત કુલ ચાર વ્યકિતના મોત નિપજ્યા હતા. જે પછી શુક્રવારે ફરી હિટ એન્ડ રનના બનાવમાં વધુ બે યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. મજાદર હાઇવે અકસ્માત ઝોન બનતા સ્થાનિકો દ્રારા હાઇવે ની બન્ને સાઈડો ઉપર મજબૂત બેરીકેટર મુકવા માંગ કરી રહ્યા છે.

આ અંગે પાલનપુર લોકનિકેતનમાં શિક્ષક મુકુલભાઇ કેશાભાઇ ભાંડવાએ જણાવ્યું હતું કે, મૃતક ભીખાભાઇ મારા કાકાનો દીકરો ભાઇ થતો હતો. ભીખાભાઇના પિતા અમૃતભાઇ ભાંડવા સીઆઇએસએફમાં ફરજ બજાવતાં હતા. 18 વર્ષ પૂર્વે 11 એપ્રિલ 2006ના દિવસે ભરકાવાડા હાઇવે ઉપર જ અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતુ. જે વાહન હજુ સુધી પકડાયું નથી. પરિવારમાં તેઓ એક જ પુત્ર હતા. 12 મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પત્ની રિકુંબેન, બહેન આરતીબેન અને વિધવા માતાએ જીવનનો આધાર ગુમાવ્યો છે.