પાલનપુર ગોબરી તળાવ ઓવરબ્રિજ નીચે ગજાનંદ માર્કેટયાર્ડમાં આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં ફરી એક વખત ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડી 179 કિલો લુઝ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. અને પેઢીના માલિક હિતેશ ગોરધનભાઈ મોદી સામે કાર્યવાહી કરી ઘીના સેમ્પલ લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે.ફૂડ વિભાગએ વરસતા વરસાદમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર ફૂડ વિભાગને બાતમી મળી હતી કે ગજાનંદ માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી લુઝ ઘી ના ઝથ્થાને ડબ્બામાં પેકિંગ કરવાની કામગીરી કરી રહ્યું છે. જે બાદ ફુડ વિભાગના અધિકારી તાત્કાલિક માર્કેટ યાર્ડમાં આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં જતા પેઢી સંચાલક હિતેશ ગોરધનભાઈ મોદીએ ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે રકજક કરીને ઘી ઓરીજનલ હોવાનો દાવો કર્યો હતો. જોકે ફૂડ વિભાગને શંકા જતા તમામ 179 kg જથ્થો જપ્ત કરી સીઝ કરી દેવાયો હતો.

આ અંગે ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, "મોહિતભાઈ ગુર્જરે લુઝ ઘીના સેમ્પલ પરીક્ષણ માટે લીધા છે. પેઢીમાંથી અગાઉ પણ અવારનવાર શંકાસ્પદ ઘી ઝડપી કાયદેસર કાર્યવાહી કરાવી હતી. જેથી ઘી ક્યાં બનાવવામાં આવે છે ? કેવી રીતે બનાવવામાં આવે છે ? કઈ મશીનરીથી બનાવવામાં આવે છે ? તે તમામ બાબતોની જાણકારી માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. જો યોગ્ય પ્રત્યુતર નહીં અપાય તો હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝ પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."