અમરેલી, તા.૧૪ ઓગસ્ટ (રવિવાર) અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્યદિન, પતેતી, જનામાષ્ટમી, વગેરે તહેવારોની ઉજવણીને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં આગામી તા.૨૮ ઓગસ્ટ - ૨૦૨૨ સુધી સમગ્ર અમરેલી જિલ્લામાં કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

       જિલ્લાના કોઈપણ વિસ્તારમાં કોઇએ પણ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઈજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહીં. છટાદાર ભાષણો આપવા પર, ચાળા કરવા તેમજ ઉશ્કેરણીજનક ચિત્રો-નિશાની દેખાડવા કે આવા કૃત્યો કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર સભા - સરઘસ કાઢવા કે તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

        ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીશ્રીઓ તથા હોમગાર્ડકર્મીઓ સહિતના તમામ સરકારી-અર્ધસરકારી કર્મચારી-અધિકારીઓને તેમજ શારીરિક રીતે અશક્ત હોય અને લાકડી-લાઠી લઇને ફરવું જરૂરી હોય તેમને, લગ્નના વરઘોડા કે સ્મશાનયાત્રાને આ જાહેરનામાનો આદેશ લાગુ પડશે નહિ. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર દંડને પાત્ર થશે

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી