અમીરગઢના કીડોતર ગામની સીમમાં હાઇવે ઉપર આવેલ જય માતાજી પેટ્રોલ પંપ ઉપર બુધવારે બે ટ્રકો ડીઝલ ભરાવવા આવી હતી. ત્યારે આગળ ઉભેલી ટ્રક નં. આરજે-22-જીબી-8715 ના ચાલક નવરત્નભાઇ (ઉં.વ.39) પોતાની ટ્રકમાંથી ટાયર ઉતારી અને ડાલુ બંધ કરી રહ્યા હતા.

 ત્યારે પાછળ ઉભેલી ટ્રક નં. આરજે-22-જીસી-9615 ઢાળમાં ઉભી હતી અને ડ્રાઇવર ટ્રકમાં હાજર ન હતો. તે સમયે આ ટ્રક અચાનક રગડી હતી અને આગળવાળી ટ્રકને અથડાઇ હતી. આ અકસ્માતમાં નવરત્નભાઇ બન્ને ટ્રક વચ્ચે આવી ગયા હતા.

જેમને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આરજે-22-જીસી-9615 નંબરના ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના કાકા રતનલાલ હીસાજી પ્રજાપતિએ નાસી છૂટેલા ટ્રક ચાલક સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.