ડીસામાં રખડતા પશુઓના કારણે વધુ એક અકસ્માત સર્જાયા હોવાની ઘટના બની છે. માણેકપુરા પાસે રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જતા એકટીવા ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો છે.

ડીસા પંથકમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે અને છાશવારે રખડતા પશુઓના કારણે નાના-મોટા અકસ્માતો થતા રહે છે. જેમાં આજે માણેકપુરા ગામે રહેતા 45 વર્ષીય નારણજી ઠાકોર તેમની પત્ની સાથે એકટીવા લઈને ડીસા તરફ આવી રહ્યા હતા અને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓએ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા એકટીવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

રોડ પર પટકાતા નારણજી ઠાકોરને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો.બનાવ પગલે આજુબાજુના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા અને આ ઘટના અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત અકસ્માત સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકટીવા ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.