ડીસાના ટેટોડા ગામે ચાર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાના તાળા તોડી અંદર પડેલા કાંસાના વાસણો તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ જતાં મકાન માલિકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસાના ટેટોડા ગામે રહેતા પ્રેમાભાઇ વજાભાઇ પટેલ અને તેમના ભાઇઓ હાલ ખેતરમાં મકાન બનાવી રહે છે અને ગામમાં તમામ ચાર ભાઇઓના મકાન બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો આ ચાર બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદાજીત 75 જેટલા કાંસાના વાસણો તેમજ 350 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા.

બીજા દિવસે વહેલી સવારે બનાવ અંગે જાણ થતાં મકાન માલિક ચોરી થયેલા મકાને પહોંચ્યા હતા અને તપાસ કરતા અંદાજીત 22 હજારના માલમત્તાની ચોરી થઇ હોવાનુ જણાયું હતું. જે અંગે પ્રેમાભાઇ વજાભાઇ પટેલે જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.