જામનગર  જિલ્લામાં યોગ અને ખેલ-કૂદને પ્રોત્સાહન મળી રહે તેમજ નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગરમાં સ્થિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર- લાખાબાવળ ખાતે જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ અધ્ય્ક્ષસ્થાને ત્રિ-દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યોગ સાધકોને શિબિરને અનુરૂપ માહિતી શ્રી વી.પી.જાડેજાએ પુરી પાડી હતી. 

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ યોગની તાલીમ જિલ્લાના છેવાડાનાં માનવી સુધી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં તમામ નાગરિકો બહોળી સંખ્યામાં ભાગ લે અને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓથી લાભાન્વિત બને તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત, જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ભાયા અને સી.ડી.એચ.ઓ. શ્રી ડો. પી.એન.ક્ન્નરે વર્તમાન સમયમાં યોગના મહત્વ અને વિવિધ રોગો સામે યોગથી થતા ફાયદા વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ આઈ.સી. ઓફિસર શ્રી મોદીએ કરી હતી.   

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન કણઝારિયા, જિલ્લા ક્ક્ષાની યોગ ટ્રેઈનીંગ ટીમમાંથી શ્રી ડો.સાગર માંડવીયા, ડી.પી.સી. શ્રી યજ્ઞેશ ખારેચા, શ્રી ગરિમા દવે, યોગ સાધકો અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.