સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટ એટેકના વધતા પ્રમાણને ધ્યાને લઈ CPR તાલીમ લેવાની સરકારની સૂચનાથી સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો સહિતના કર્મચારીઓ અધિકારીઓને તાલીમ આપવાનું સઘન આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, હૃદય રોગના હુમલાના ઘણા કિસ્સાઓમાં દર્દીને સમયસર સ્થળ પર જ CPR ટ્રીટમેન્ટ મળી જવાના કારણે જીવ બચી ગયો હોવાના દાખલા નોંધાયા છે ત્યારે શાળાના બાળકો પૈકી કોઈને જો હૃદય રોગના હુમલો આવે તેવી સંભાવના ધ્યાને રાખીને સરકાર દ્વારા શિક્ષકોને આ તાલીમ આપી સજ્જ કરવાની સૂચના આપવામાં આવી છે.જેને અનુસરી ત્રણ તબક્કામાં યોજાનાર તાલીમમાં આજરોજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, ટી.બી. હોસ્પિટલ કેમ્પસ, સુરેન્દ્રનગર ખાતે તાલીમ યોજવામાં આવી હતી. તાલીમમાં કુલ 8 બેચમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા કુલ 2400 જેટલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.