ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા યાત્રીકોની સુવિધા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઇડ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સમય કરતા મોડા આવતા મુહૂર્ત સાચવવા મહંત પરિવારે પૂજન કર્યુ હતુ.બાદમાં મંત્રીઓ અને રાજ્યપાલે માતાજીને પગેલાગી ચૂંટણીમાં જીત આવવા પ્રાર્થના કરી હતી.

ચોટીલામાં રૂ.21 કરોડના ખર્ચે ત્રણ ફેઝમાં બનનારી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનું ખાતમુહૂર્ત શનિવારે કરાયું હતું. ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે. ત્યારે આ મંદિરે પૂજનનો કાર્યક્રમ સવારના 11:30 કલાકે મુહુર્તમાં રખાયો હતો.જેના માટે મંત્રીની રાહ જોવાઇ રહી હતી.પરંતુ ન આવતા મહંત પરિવારે ભૂમિપુજન કરી મુહુર્તનો સમય સાચવ્યો હતો. બાદમાં ચામુંડા માતાજી ડુંગર તળેટીમાં ભૂમિ પૂજનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે અમરેલીથી જલ ઉત્સવ કાર્યક્રમ પૂર્ણ કરીને આવતા ભૂમિપૂજન થઇ ગયા બાદ 2:30 કલાકે પહોંચતા માતાજીની મૂર્તિ પૂજા કરાઇ હતી.કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યુ કે, આ રાઈડનો ઉપયોગ વૃદ્ધો, અસક્ત અને બીમાર લોકો માતાજીના દર્શને જવા માટે કરાશે. સાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપુરા અતિથિ વિશેષ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહા,પાટડી ધારાસભ્ય પીકે પરમાર તેમજ આગેવાનો અને ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, હેમંત ચૌહાણ અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માતાજીના દુહા છંદ કર્યા હતા.