અમીરગઢના ડાભેલી નજીક ગાડી પર પથ્થરમારો કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વિરમપુરથી પાલનપુર વચ્ચે રાત્રિના સમયે પસાર થવું જોખમી બની રહ્યું છે અહી અસામાજિક તત્વોનો આતંક જોવા મળતા વાહન ચાલકો રાત્રી દરમિયાન નીકળવાનું ટાળે છે. રવિવારે રાત્રે ડાભેલી ગામના પાટિયા પાસે સ્કોર્પીયો ગાડી પર પથ્થર મારાથી ભયનો માહોલ સર્જાયો હતો. ગાડીના ડાબી બાજુની સાઈડ તેમજ પાછળના ભાગના કાચને પથ્થરો મારી તોડી પડાયા હતા.

પાલનપુરના માનસરોવર વિસ્તારમાં રહેતા સંજયભાઈ કાનમલ અગ્રવાલ પોતાની માલિકીની સ્કોર્પીયો ગાડી લઈને વિરમપુરથી પાલનપુર ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ધનપુરા નજીક ઢાળ ઉતરતા ડાભેલી ગામ નજીક પાણી પુરવઠાની ઓફીસની સામે અચાનક અજાણ્યા ઈસમો દ્વારા ગાડી પર પથ્થર મારો કરતા ભયનો માહોલ સર્જાયો હતો. સંજય ભાઈએ ગભરાઈ જતા ત્યાંથી પૂરપાટ ઝડપે ગાડી હંકારી સમગ્ર ઘટનાની જાણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આવા ઈસમોને પકડી તેમના વિરુદ્ધમાં ગુન્હો નોંધવા અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.