કેશલેસની સુવીધા બંધ થતા દર્દીઓને હાલાકી

160 હોસ્પિટલો દ્વારા કેશલેસ સુવિધા બંધ કરાઈ

15 ઓગસ્ટ સુધી બંધ છે કેશલેસ સુવિધા

 અમદાવાદમાં કેશલેસની સુવિધા બંધ થતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. જેમાં 160 હોસ્પિટલો દ્વારા કેશલેસ સુવિધા બંધ કરાઇ છે. તેમજ કેશલેસ સુવિધા બંધ થતાં 30 ટકા સર્જરી પ્રોસિજર રદ કરવામાં આવી છે. જેમાં કેશલેસ સુવિધા આહના દ્વારા બંધ કરવામાં આવી છે.

કેશલેસ સુવિધા બંધ થતા 30 ટકા સર્જરી રદ

ઉલ્લેખનીય છે કે ચાર વીમા કંપનીઓ વિરૂદ્ધ હોસ્પિટલોનું આંદોલન શરૂ થયુ છે. તેમાં આજે પણ કેશલેસ સુવિધા બંધ રહશે. તથા 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધ રાખવામાં આવશે. જેમાં અમદાવાદની દોઢસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ ચાર્જ રિવાઈઝ નહિ કરવા સહિતના મુદ્દે ચાર સરકારી વીમા કંપનીની કેશલેસ સુવિધા આઠ દિવસ માટે બંધ કરી છે, જેના કારણે 8મી ઓગસ્ટના પહેલાં દિવસે શહેરમાં 30 ટકા જેટલી પ્લાન્ડ સર્જરી કેન્સલ થઈ હતી જ્યારે બાકીના 70 ટકા જેટલા દર્દીએ કેશલેસને બદલે વીમાની રિએમ્બર્સ સેવાનો લાભ લીધો હતો. શહેરની ખાનગી હોસ્પિટલોમાં રોજના સરેરાશ બે હજાર જેટલા દર્દી કેશલેસ સેવાનો લાભ લેતાં હોય છે.

 આહના દ્વારા બંધ કરવામાં આવી છે કેશલેસ સુવિધા

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધ રાખવા એલાન આપ્યું હતું. પહેલા દિવસે જ 30 ટકા જેટલી સર્જરી કેન્સલ થઈ હોવાનું આહના સાથે સંકળાયેલા તબીબોએ કહ્યું છે. ખાનગી હોસ્પિટલોએ ધી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ., યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કં. લિ. અને ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કં. લિ.ના વીમા ધારકોને કેશલેસ સેવા બંધ કરી છે.

આ નિર્ણય લેવા પાછળના કારણ અંગે તબીબો કહે છે કે, કેટલાક સર્જરી તેમજ પ્રોસીજર માટે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ફિક્સ ચાર્જીસ નક્કી કરાયા છે, અલબત્ત, ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાને લેવામાં આવી નથી. ચાર્જીસ ખૂબ ઓછા લેવાથી ક્વોલિટી સારવાર આપી શકાય તેમ નથી, હોસ્પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષોથી રિવાઈઝ કરાયા નથી, તે ચાર્જીસ હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે 6 ટકા દર વર્ષ પ્રમાણે વધારી આપવા જોઈએ, તેવી ખાનગી હોસ્પિટલોની માગ છે. જો આ અંગે નિર્ણય નહિ લેવાય તો લાંબા સમય સુધી કેશલેસ સેવા સ્થગિત કરવાની ચીમકી અપાઈ છે.

વિપુલ મકવાણા