પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો બીજો દિવસ ગોઝારો સાબિત થયો છે. અંબાજી દર્શન કરવા આવેલા યાત્રીઓ ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. બસ અંબાજીથી હડાદ જતાં માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અરવલ્લીની ગિરિમાળામાં બસ પલટી હોવાનું સામે આવ્યું છે.

 બસ નીચે પટકાતા બસના બે ભાગ થઈ ગયા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં આયોજક સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અમે કણજરીથી 100થી વધુ લોકો સંઘ સાથે પગપાળા અંબાજી આવ્યા હતા અને ધજા ચઢાવીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન આજે સવારે અમને બસ લેવા આવી હતી. અમે બસમાં બેસી જમવા જઈ રહ્યા હતા. ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતાં ઘટના સર્જાઈ હતી. જેમાં બસમાં સવાર માઈભક્તો પૈકી અમુક વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. તેમ આયોજક આશીષભાઈએ જણાવ્યું છે.

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે ખેડા, નડિયાદથી અંબાજી દર્શનાર્થે આવેલો સંઘ માતાજીનાં દર્શન કરી પ્રાઇવેટ બસમાં પરત જતો હતો. તે સમયે અંબાજીથી આઠ કિલોમીટરના અંતરાળે ચિખલા નજીક અકસ્માત નડ્યો હતો. પ્રથમ તબક્કે બસની બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે બસ પલટી જતા ઉપરનું છજું તૂટી પડ્યું હતું.

બસમાં 40 લોકો સવારે હતા અને અકસ્માત સર્જાતા મોટાભાગના લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ વાહનોમાં ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ની મદદથી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમુક ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા. સદનસીબે અકસ્માતમાં હજી સુધી કોઈ પણ જાનહાનિની ખબર આવી નથી.

અંબાજી માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 15 જેટલાં ઘાયલ મુસાફરોને સિવિલમાં લાવવામાં આવ્યા છે. ગંભીર બે દર્દીને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોની સારવાર પાલનપુર સિવિલમાં થઈ રહી છે. જોકે, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પાલનપુર સિવિલમાં પહોંચ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસી કાર્યકરો પણ સિવિલમાં દોડી પહોંચ્યા હતા.