વઢવાણ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી માનનનીય શ્રીરથવી સાહેબના નેતૃત્વ નીચે ટી.બી.હોસ્પિટલ-સુરેન્દ્રનગના કેમ્પસમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોબિલાઇઝેશન કરવામાં આવ્યું.સાત વર્ષથી "બાપા સીતારામ ફ્રી ટીફીન સેવા" થકી સૌના દિલ જીતનાર પ્રાથમિક શિક્ષક શ્રીલાભુભાઈ ડાભીને તિરંગો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું. ઠંડી, ગરમી કે વરસાદમાં પણ અવિરત સેવા થકી લાભુભાઈ ટી.બી.હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાને ફ્રી ભોજન જમાડે છે.લાભુભાઈ પોતે શિક્ષક હોવાથી 10 થી 5 વાગ્યા સુધી સ્કૂલમાં હોય છે.. આથી બપોરના સમયે તેમના ધર્મપત્ની દર્દીઓને ભોજન જમાડવા ટી.બી.હોસ્પિટલે આવે છે. ક્યારેક રાત્રીના બાર વાગ્યે પણ કોઈ બેનની ડિલિવરી થાય અને ફોન આવે તો તેમના પત્ની પુરી પ્રસન્નતા સાથે શિરો બનાવી, હોસ્પિટલે આપવા માટે જાય છે..આ દંપતી પોતાના ઘર, કુટુંબ કે પરિવાર કરતા પણ વધુ સમય આ સેવા યજ્ઞમાં આપે છે... પહેલા તો તે ભોજન ઘરે જ બનાવતા હતા... પણ હવે ટીફીનની માંગ વધતા અલગ રસોડું ચાલુ કર્યું છે.પોતાના પગારમાંથી ગરીબ દર્દીઓની સેવા કરતા શિક્ષક શ્રીલાભુભાઈ ડાભીની નોંધ ઘણી જગ્યાએ લેવાઈ છે..હાલ જ્યારે "આઝાદીકા અમૃત મહોત્સવ" ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમને તિરંગો રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનો અને તેમના સેવા યજ્ઞને બિરદાવવાનો પવિત્ર વિચાર જોરાવરનગર શા.નં.7ના આચાર્ય શ્રીનારાયણભાઈ વાઘેલાને આવ્યો..આ વિચારના વધામણાં કરવા વઢવાણ તાલુકા પ્રા. શિક્ષણાધિકારી શ્રી રથવીસાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા...સર્વ શિક્ષક મિત્રો અને દર્દીના પરિવાર જનોની હાજરીમાં, આદરણીય શ્રીરથવી સાહેબે તિરંગાની સાક્ષીએ લાભુભાઈની સેવાને બિરદાવી હતી.

આઝાદીકા અમૃત મહોત્સવની રાષ્ટ્રીય ઊજવણીના ભાગ રૂપે, આ સેવાભાવી શિક્ષકની વંદના કરતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી થઈ. શિક્ષક શ્રીલાભુભાઈ ડાભી દરરોજના 45 થી 50 દર્દીઓને ફ્રી ટીફીન જમાડે છે..આજ સુધી તેમણે ક્યાંય સામે ચાલીને લાંબો હાથ કર્યો નથી...ફાળો માંગ્યો નથી.બપોરે અને સાંજે બે ટાઈમ ફ્રી ભોજન કરવાનો ખર્ચ તેઓ પોતાના પગારમાંથી કાઢે છે... હવે ખર્ચ વધતા કોઈ પ્રેમથી મદદ કરવા ચાહે તો સપ્રેમ સ્વીકારે છે. ઘણા કરુણાવાન લોકો પોતાના દીકરા-દીકરીના જન્મ દિવસે કે ઘરના કોઈ વડીલની પુણ્યતિથિ પ્રસંગે લાભુભાઈને ભોજન ખર્ચ માટે યથાયોગ્ય મદદ કરે છે.