દાંતીવાડાના ગુંદરી ગામની સીમમાં ધાનુમાર્કેટ યાર્ડ પાસે ટ્રેલર ચાલકે ઇકોની સાઇડમાં જોરદાર ટક્કર મારતાં ઇકોમાં બેઠેલ મહિલા રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.

રાજસ્થાનના રહેવાસી અને હાલ અમદાવાદમાં નોકરી કરતાં સાદળારામ પ્રજાપતિ તા.14 સપ્ટેમ્બરના રોજ સંબંધી નરેશભાઇ ગણપતભાઇ પ્રજાપતિ (રહે.અમદાવાદ)ની ઇકો (જીજે-01-આરએફ-4604) લઇ વતન રાજસ્થાનમાં મરણ પ્રસંગે ગયા હતા. પ્રસંગ પુરો થતાં સાદળારામ પ્રજાપતિ તેમની પત્ની સવિતાકુમારી પ્રજાપતિ તેમજ બે વર્ષના બાળક સાથે શુક્રવારે રાજસ્થાનથી અમદાવાદ જવા નીકળ્યા હતા.

 ત્યારે દાંતીવાડાના ગુંદરી ગામની સીમમાં ધાનુમાર્કેટ યાર્ડની નજીક આવતાં પાંથાવાડા તરફથી આવતા ટ્રેલર (આરજે-01-જીબી-8755)ના ચાલકે ઇકોને સાઇડમાંથી જોરદાર ટક્કર મારતાં ઇકોમાં બેઠેલ સવિતાકુમારી સાદળારામ પ્રજાપતિ (ઉં.વ.23, મુળ રહે.વાડાભવજી,તા.જશવંતપુરા,જી.જાલોર (રાજ.), હાલ રહે.અમદાવાદ, ચિત્રગુપ્ત સોસાયટી વિભાગ-2, પી.ડી.પંડયા કોલેજની પાસે, તા.જી. અમદાવાદ) રોડ પર પટકાતાં શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી ટ્રેલરનો ચાલક ટ્રેલર મુકી નાસી છૂટ્યો હતો. મૃતકની લાશને પાંથાવાડા પીએમ અર્થે ખસેડાઇ હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોને અકસ્માતના સમાચાર મળતા ગામમાં માતમ છવાયો હતો.

સવિતાકુમારીના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. જેમાં સંતાનમાં બે વર્ષનો બાળક હતો. જ્યારે અકસ્માત સ્થળે પત્નીનું મોત થતાં ઘટનાસ્થળે તેમના દિકરાને ખોળામાં લઇ સાદળારામ વિલાપ કરતા હતા.

રાજસ્થાનમાં મરણ પ્રસંગ પતાવી ઇકોમાં અમદાવાદ જતાં રસ્તામાં અકસ્માત, ટ્રેલર ચાલક ફરાર