પાલનપુર તાલુકાના અલીગઢ ગામે આડા સંબંધની વહેમમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને જેલના હવાલે કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અલીગઢ ગામે એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ બનાવના ત્રણ આરોપીઓ પૈકી મહેશ વાલ્મિકી નામના આરોપીના સાહેદ કનુની પત્ની સાથે આડા સબંધ હોવાની શંકા હતી. જેથી કનુએ મહેશને ઠપકો આપ્યો હતો. નરેશે પણ ભૂતકાળમાં આ બાબતને લઈ મહેશને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને જ મહેશ સહિત ત્રણ આરોપીઓ કનુને મારવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં નરેશ મળી જતા તેના પર હુમલો કરી હત્યા નિપજાવી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 30 ઓગસ્ટ 2023ના માહિતી મળેલ કે અલીગઢમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જે બાબતે તપાસ કરતા હત્યા થયેલ યુવક નરેશ વાલ્મિકી છે તેવુ સામે આવ્યું હતું. આ સંબેધે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને LCBના અધિકારીઓ દ્વારા તુરંત એક્શન લેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ગણતરી ના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે, હાલમાં રિમાન્ડની પ્રક્રિયા શરૂ છે.