• મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની  મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક શ્રી ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.

ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની  મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું હતું.

ઝાલોદ તાલુકાના કમ્બોઈ સ્થિત આ સમાધિ સ્થળ આદિવાસીઓ બાંધવો માટે શ્રદ્ધા અને આસ્થાનું ધામ છે. મુખ્યમંત્રીશ્રીનું અહીં આદિવાસી પરંપરા પ્રમાણે લોકવાદ્યો સાથે સ્વાગત કરવા સાથે આદિવાસી કન્યાઓએ કળશ-શ્રીફળ સાથે મુખ્યમંત્રીશ્રીનું  સામૈંયુ કર્યું હતું.

આ વેળા અદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ શ્રી જસવંતસિંહ ભોભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સહિતના અધિકારીશ્રીઓ, આદિવાસી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.