મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા પરિવારનો યુવક બે દિવસ પહેલા ગુમ થયા બાદ તળાવની પાળ પરથી મોટરસાઇકલ મળી હતી અને ત્યારપછી ચેકડેમમાંથી માથામાં ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢી ખેતમજૂર દંપતીની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો. ગામના જ એક રહીશની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા છોટાઉદેપુર બાજુના દંપતીએ યુવાનની હત્યા કરી મૃતદેહને ગાંસડીમાં બાંધી બાઇક પર લઇ જઇ પથ્થર બાંધી ચેકડેમમાં ફેંકી દીધો હતો. મૃતકે ભાગિયાની પત્ની પર નજર બગાડતા હત્યા કરાઇ હોવાનો બચાવ આરોપીઓએ કર્યો છે.બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ દિગસર ગામે રહેતા દિવુભા ઉર્ફે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર બે દિવસ પહેલા ધરેથી ગુમ થયા બાદ મંગળવારે મોડી સાંજે દાણાવાડાનાં રસ્તે આવેલા ચેકડેમમાંથી તેમનો ફોગાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાતા મૂળી પી એસ આઇ ડી. ડી. ચુડાસમા, હર્ષરાજસિંહ સહિતની ટીમે તપાસ કરતા મૃતદેહના માથાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરાયાનું ખૂલ્યું હતું.બીજીતરફ મૃતકનાં પિતા મહેન્દ્રસિંહ અજીતસિંહ પરમારે પુત્રની હત્યા થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસમાં જણાવ્યું હતું કે, દિવ્યરાજસિંહ પરમાર તેમનાં જ ગામનાં મિત્રો ચંદુભાઇ નાકીયા,કેતનભાઇ દેવીપુજક,ગામનાજ મનસુખભાઇ પટેલની વાડીએ તેમના મજુર લાલજીભાઇ હકલાભાઇ આદિવાસી સાથે રવિવારે મોડી સાંજે નોનોવેજનો પ્રોગ્રામ કર્યા.હત્યારા દંપતી દ્રારા ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલ જોઇ મૃતદેહને કેવી રીતે સગેવગે કરવો તે નક્કી કર્યુ હતુ લોકો ગેરમાર્ગે દોરાય તે માટે મોટરસાઇકલ ત્યાંજ બાવળની કાંટમાં અને ચપ્પલ તળાવ કાંઠે મુકી કાવતરૂ કર્યાનુ ચર્ચાઇ રહ્યું છે.