સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન ધર્મેશભાઇ ગામીત

બારમા ધોરણ સુધી ભણેલા આદિવાસી યુવાને મંડપ ડેકોરેશનનો બિઝનેસ શરૂ કરી ગામના ૧૨ યુવાનોને રોજગારી આપી પગભર બનાવ્યા

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન થકી ઓછા વ્યાજદરે રૂ.૪.૮૯ લાખની લોન મળતાં મારા નાનકડા મંડપ ડેકોરેશનના બિઝનેસને વેગ મળ્યો

આદિવાસી બાંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.આદિવાસી યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. આદિવાસી યુવાનોને નવો ઉદ્યોગ સ્થાપવા કે બિઝનેશ શરૂ કરવા માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન થકી ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે,ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આદિવાસી યુવાને રૂ.૪.૮૯ લાખની લોન મેળવી મંડપ ડેકોરેશનનો બિઝનેસ શરૂ કરી ગામના ૧૨ યુવાનોને રોજગારી આપી પગભર બનાવ્યા છે.

             સરકારની સહાયથી ઓછા દરે મેળવેલી લોન થકી પોતાના નાનકડા બિઝનેસને પાંચ વર્ષના ઓછા સમયગાળામાં આગળ વધાર્યો છે, જેના વિશે વાત કરતાં ધર્મેશભાઇ રતિલાલાભાઇ ગામીત જણાવે છે કે, નાનપણથી જ પોતાનો નાનકડો બિઝનેસ કરવાનું સપનું સેવ્યું હતું. જેથી ધોરણ ૧૨નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ મંડપ ડેકોરેશનનો ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો હતો.જેમાં માતા-પિતાનો સાથ-સહકાર મળ્યો હતો.પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મંડપ ડેકોરેશનની સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે પરિવાર તરફથી મદદ મળી હતી. શરૂઆતના સમયમાં ઓછી સાધન સામગ્રીથી બિઝનેસ કર્યો.સમય જતા મંડપ અને ડેકોરેશનની સામગ્રીની માંગ વધી પરંતુ નવી મંડપની સામગ્રી ખરીદી કરવા માટે નાણા ન હતા,જેના કારણે મંડપ અને ડેકોરેશન ઘણા બધા કામો જવા દેવા પડતાં હતા. એક દિવસ વર્તમાનપત્રમાં નવા બિઝનેસ અને ઉદ્યોગ સ્થાપવા માટે આદિવાસી યુવાનોને ઓછા વ્યાજદરે સરકારના ગુજરાત આદિજાતિ કોર્પોરેશન દ્વારા લોનની જાહેરાત વાંચી હતી,જેથી વધુ માહિતી મેળવવા માંડવી સ્થિત સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરીની મુલાકાત લીધી હતી.

              વધુમાં તેમણે જણાવ્યું કે, માંડવી આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી તરફથી ઓછા વ્યાજદરે મળતી લોન વિશે વિસ્તાર પુર્વક માહિતી મળેવ્યા બાદ એમના માર્ગદર્શન પ્રમાણે લોન લેવા માટેનું ફોર્મ ભર્યું હતું.આધિકારીઓ દ્વારા ફોર્મની ચકાસણી કર્યા બાદ ટુંક જ સમયમાં મંડપ ડેકોરેશનના સાધનોની ખરીદી માટે રૂ.૪.૮૯ લાખની લોનની મંજુરી આપવામાં આવી હતી.મળેલી લોનમાંથી મંડપ અને ડેકોરેશનની સાધન સામગ્રીની ખરીદી કરી અને નાનકડા બિઝનેસ આગળ વધારવા માટે પગલું માંડ્યું હતું.બિઝનેસ આગળ વધતાં માણસોની જરૂરિયાત પણ વધી હતી.જેથી ગામના ૧૨ બેરોજગાર યુવાનોને મંડપ ડેકોરેશનના કામમાં સહભાગી કરી રોજગારી આપવાનું શરૂ કર્યુ છે,હાલ મારી પાસે ૨૦૦ ગાળાના મંડપની સાધન-સામગ્રી છે,જેનાથી શુભ-અશુભ પ્રસંગો, ગણપતિ મહોત્સવ, નવરાત્રી, તથા અન્ય પ્રસગોમાં મંડપ અને ડેકોરેશન કરી પોતાની આજીવિકા મેળવી રહ્યા છે.હવે એક સાથે પાંચ જગ્યા પર ઓર્ડર લઇ શકીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

            પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં કઇક કરી છુટવાની અને પોતાનો નાનકડો બિઝનેસ આગળ વધારી ગામના યુવાનને રોજગારી આપવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે,જેથી રાજ્ય સરકારનો અને આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરીનો જીવનભર ઋણી રહીશ એમ તેમણે કહ્યું હતું.