ડીસાની ભણસાલી હોસ્પિટલમાં તબિબની બેદરકારીના કારણે દર્દીનુ મોત થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલના સંચાલકોએ મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ભરી હોસ્પિટલ દ્વારા જે બનતી મદદ થાય તે કરવાની ખાતરી આપી છે.

ડીસાના રાજપુર પાસે લોધાવાસમાં રહેતા 45 વર્ષીય જગદીશભાઈ લોધાને ગઈકાલે સાંજના સમયે લોહીની ઉલટી શરૂ થતા તેઓને તાત્કાલિક તેમના પરિવારજનોએ સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની તપાસ કરી તબિયત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

લોહી ઓછું થઈ ગયું હોવાથી તાત્કાલિક ઓ-નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરવા માટે વાત કરતા દર્દીના સગાઓએ બ્લડ માટે શોધખોળ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન મધરાતે તેઓનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થતા જ વહેલી સવારે તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો.

આ અંગે દર્દીના સગા કનૈયાલાલ લોધાએ જણાવ્યું હતું કે, તેઓને લોહીની વોમિટિંગ થતા તાત્કાલિક ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ રિપોર્ટ કરાવ્યા બાદ ઓ-નેગેટીવ બ્લડ લાવવા જણાવ્યું હતું. ઓ-નેગેટિવ બ્લડની ડીસામાં વ્યવસ્થા ન થતા તેઓ સેમ્પલ લઇ ધાનેરા પહોંચ્યા હતા. જ્યાંથી ઓ-નેગેટીવ બ્લડની વ્યવસ્થા થઈ હતી.

પરંતુ ધાનેરા પહોંચતા ત્યાં લેબોરેટરીવાળા જણાવ્યું કે, 'તમે જે સેમ્પલ લાવ્યા છે તે બી-પોઝિટિવ છે' એટલે તેઓએ મોડી રાત્રે ભણસાલી હોસ્પિટલના ડોક્ટર જોડે વાત કરાવતા ડોક્ટરે લખવામાં ભૂલ થઈ હોવાનું જણાવી તેઓને પરત બોલાવી લીધા હતા. તેમજ વધુમાં જણાવ્યું હતું કે હાલ સાતથી આઠ ટકા બ્લડ થઈ ગયું હોવાથી બ્લડની જરૂર સવારે પડશે. તે દરમિયાન રાત્રે દોઢેક વાગ્યે દર્દીનું મોત થયું હતું. આમ તબીબોની બેદરકારીના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

જ્યારે આ અંગે ભણસાલી હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગના રમેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે દર્દીને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવ્યા હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓના રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટ મુજબ ઓ-નેગેટીવ બ્લડ લાવવા જણાવ્યું હતું. પરંતુ ફોર્મમાં જોતા બી-પોઝિટિવ લખેલું હતું. જેથી તેઓને પરત બોલાવાયા હતા.

આ દરમિયાન દર્દીની હાલત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તેઓનું મોત નીપજ્યું છે. જેથી હોસ્પિટલના સંચાલકો દ્વારા પરિવારજનોને સમજાવટ કરી જે બનતી મદદ થાય તે કરવાની ખાતરી અપાઇ છે.