છોટાઉદેપુર જિલ્લા ધ્વજવંદન નો કાર્યક્રમ રતનપુર ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ ઉજવવાનો હોય ત્યારે તાત્કાલિક પુલની સાફ સફાઈ કરાઈ તેમજ રોડ ઉપર પડી ગયેલા ગાબડાઓ ઉપર થીંગળા મરાતા જનતામાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.

            છેલ્લા કેટલાય સમયથી પાવીજેતપુર થી રતનપુર જતા વચ્ચે આવતા પુલ ઉપર ધુળ ભેગી થઈ કાદવ કીચળ થઈ ઘાસ ઉગી ગયો હતો તેમજ વરસાદી પાણીનો નિકાલ અટકી જતો હતો. બે સ્લેબ વચ્ચે તિરાડો મોટા ખાડા બની જતા આ પુલ ઉપરથી પસાર થતા વાહનો ઠપકાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા જેની અત્યાર સુધી કોઈપણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું ન હતું તેમજ આ રસ્તા ઉપર કેટ કેટલી ઠેકાણે ગાબડા નીકળી જઇ ખાડા પડી ગયા હતા. સાથે સાથે પાવીજેતપુર હાઇવે ઉપર પણ કેટલી ઠેકાણે ગાબડા નીકળી ખાડા પડી ગયા હતા જેનાથી જનતા ત્રાહિમામ પોકારી રહી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ રતનપુર ખાતે ઉજવવાનું નક્કી થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવી જઈ, યુદ્ધના ધોરણે રાતોરાત લંબી દાઢી ના પ્રમાણે કામ કરતા ઓરસંગ નદી ઉપરના ફૂલની સાફ-સફાઈ કરવામાં આવી છે તેમજ બે સ્લેબ વચ્ચે જે ખાડા પડી ગયા છે ત્યાં તાત્કાલિક ડામરીંગ કરવામાં આવ્યું છે તેવી જ રીતે રોડ પર પડી ગયેલા ખાડામાં ડામર કપચીનો માલ નાખી થીંગળા મારવામાં આવ્યા છે. જેનાથી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે કે અવર નવર આવા નાના મોટા કાર્યક્રમો રાખવામાં આવે જેથી મંત્રીઓ તેમજ અધિકારીઓ આવે અને આવા ખખડધજ થઈ ગયેલા રોડ રસ્તા રીપર થાય તે જરૂરી છે. ખાસ કરીને બોડેલી થી પાવીજેતપુરના રસ્તા ઉપર મોટા મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન બાય રોડ આવે તો છોટાઉદેપુર જિલ્લાની જનતાને સૌથી મોટી પડતી મુશ્કેલી માંથી રાહત થશે. 

          આમ, છોટાઉદેપુર જિલ્લા ધ્વજવંદનનો કાર્યક્રમ પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે રાખવામાં આવતા તાત્કાલિક પુલ તેમજ રોડની સફાઈ તથા સમારકામ થતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જનતા ઇચ્છી રહી છે કે આવા નાના મોટા કાર્યક્રમ અવારનવાર આ વિસ્તારમાં યોજવામાં આવે તો પુલ, રોડ રસ્તા ના રીપેરીંગ કામ થઈ જાય.