હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા અને શિક્ષિત ગોપાલભાઈ કિશોરભાઈ શાહ જેની અંદાજે ઉંમર 40 થી 45 વર્ષ છેલ્લા કેટલાય સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોઈ હાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં આમતેમ રખડ્યા કરતા હતા જેમાં એગ્રીકલ્ચર વિષયક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગોપાલભાઈના અંગત જીવનમાં સંસારિક બાબતને લઈને સમસ્યાઓ ઉત્પન્ન થતા તેઓની માસિક સ્થિતિ બગડી હતી જેને લઇને ગોપાલભાઈની માનસિક હાલત બગડતા તેઓ રાત દિવસ જોયા વિના ક્યારે પણ ઘરની બહાર નીકળી આમ તેમ જાહેર માર્ગો પર રખડ્યા કરતા હતા જેમાં ગત મોડી રાત્રે પણ તેઓ પોતાના કંજરી રોડ પરના નીલકંઠ સોસાયટી ખાતેના નિવાસસ્થાનેથી નીકળી હાલોલના પાવાગઢ પર આવેલી ટીંબી ત્રણ રસ્તા નજીક  અસ્તવ્યસ્ત હાલતમાં આમ તેમ મુખ્ય રોડ પર રહીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે બેફામ ગફલતભરી રીતે હંકારી લઈ આવી  ગોપાલભાઈને અડફેટે લઈ ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો  જેમાં અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી ગોપાલભાઈ મુખ્ય રોડ પર પછડાતા તેઓને  શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ગંભીર રીતે ઘવાયેલાં ગોપાલભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેમાં બનાવ અંગેની જાણ સવારના સુમારે હાલોલ રૂરલ પોલીસને થતા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ગોપાલભાઈના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જ્યારે બનાવની જાણ થતા ગોપાલભાઈના પરિવારજનો પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે  અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.