મિયાણી ગામે રહેતા યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાથી શોધખોળ કરવામાં આવી હતી. કેનાલમાં ભારે શોધખોળના અંતે મીયાણી અને ટિકર વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલના એકમેક સાથે ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.આ ચકચારી બનાવની જાણ મળતી વિગતો મુજબ મિયાણી ગામે રહેતા અજય મનસુખભાઇ ઝીંઝુવાડિયા અને તેની પ્રેમિકા સિધ્ધીબેન નીતિનભાઈ કુરિયા નામની યુવતી ગત રાત્રીના ગુમ થતા તેઓના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે આ યુવક કે યુવતી ક્યાંય મળી ન આવ્યા હોય જેથી મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠે તપાસ કરાતા યુવકનો મોબાઇલ,ચપ્પલ અને બાઈક કેનાલ પરથી મળી આવ્યું હતું.વધુમાં આ પ્રેમી યુગલ કેનાલમાં પડી ગયાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.નોંધનીય છે કે, મૃતક અજયે ગતરાત્રિના યુવતી સિદ્ધિ સાથે દુનિયાને અલવિદા કહેતું સ્ટેટસ પણ મૂક્યું હોય જેથી કેનાલમાં પડી ગયા હોવાથી બન્નેની શોધખોળના અંતે યુવક અને યુવતીની લાશ મીયાણી અને ટિકર ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.