સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વણા પાસે શાખા કેનાલમાં પાણી છોડાતા તાલુકાના 7 ગામોના ખેડૂતોને લાભ થશે. અગાઉ સતત પાણી ઝમવાના લીધે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો કેનાલમાં પાણી છોડવા દેતા ન હતા. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમારની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની કેશરીયા ડીસ્ટ્રીબુટરી D3 કેનાલના 0થી 1200 મીટર ચેઇનેજ પરના અણીન્દ્રાના ખેડૂતના ખેતર પાસે કેનાલ ઝમતી હોય રીપેરીંગ થતી ન હોય ખેડૂતો ગેટ ખોલવા દેતા નહોતા. જેના કારણે લખતર તાલુકાના 7(સાત) ગામોના ખેડૂતોને કેનાલના પાણીનો લાભ મળતો નહોતો. જેની દસાડા-લખતર વિધાનસભાના ધારાસભ્ય પી.કે.પરમારે નર્મદાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી આ કેનાલ સત્વરે રિપેર કરવા રજૂઆત કરી સત્વરે કામ શરૂ કરાવવા ખેડૂતોને ખાત્રી આપી કેનાલનો ગેટ ખોલી કેસરિયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી શરૂ કરાવ્યું હતું.જેના કારણે લખતર તાલુકાના અનિંદ્રા, બજરંગપુરા, વણા, લખતર, સદાદ, કેશરિયા અને લીલાપુર ગામના ખેડૂતોને નર્મદાની આ કેનાલનો લાભ મળશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોએ ધારાસભ્ય પી.કે.પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં પાણી છોડવાના સમયે અણીન્દ્રા સરપંચ ધ્રુવરાજસિંહ રાણા, લખતરના ગંગારામભાઇ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય વાસુદેવભાઇ પટેલ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નયુભા રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.