ધાનેરામાં 400 પશુના મોત, 100 ગામમાં દાડમના પાકને નુકસાન...

બિપરજોય વાવાઝોડાની અસરને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાના ધાનેરા, થરાદ, ડીસા, વાવમાં થયેલી તારાજીનાં દૃશ્યો હવે સામે આવ્યાં છે. રાહતની વાત છે કે એક પણ મોત નથી થયું પણ પશુઓના મોત મોટી સંખ્યામાં થયા છે. ખેતરોમાં પાક ધોવાઈ ગયો છે, રસ્તાઓ તૂટી ગયા છે, છાપરાંઓ ઊડી ગયા છે. સૌથી વધુ નુકસાન ધાનેરા અને થરાદમાં થયું છે. રાજસ્થાન સરહદે આવેલા ધાનોલ અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે એડાલ ગામના વહોળામાં ભારે વહેણ આવતા એડાલ, સિયા, ભાટીબ, જડિયા, હડતા, ચાવડા, વિંછીવાડા ગામમાં તારાજી સર્જાઈ છે.