રાજ્યભરમાં ચિંતાની પરિસ્થિતિ ઉભી કરનાર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોય સરકાર દ્વારા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરી દેવાયુ છે. ત્યારે ડીસામાં પણ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી.

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ડરનો માહોલ ઊભો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી-બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.