ગુજરાત રાજ્યમાં રાજકોટની પ્રજા ઘણાં વર્ષોથી ગોંડલ ચોકડી પર ટ્રાફિક સહન કરી હતી. જેની મુક્તિ સ્વરૂપે ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. રૂ.90 કરોડના ખર્ચે નિમિત આ બ્રિજનું લોકાર્પણ પણ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે 3 મહિના પહેલાં કર્યું હતું. એ વખતે રાજકોટિયન્સ અને ખાસ કરીને સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ રૂ.90 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પૂરા 90 દિવસ પણ માંડ ટક્યો હોય ત્યાં આજે તો વિકાસનાં પોપડાં ખરવા લાગ્યાં. એ હદે બ્રિજ ખોખલો થઈ ગયો કે હવે સ્થાનિકો બ્રિજ નીચેથી પસાર થવામાં પણ ભય અનુભવે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એક સ્થાનિકે તો કહ્યું કે:' અહીંથી પસાર થનાર પર 5 કિલોનું પોપડું જો કોઈની માથે પડે તો તેનું મોત નિશ્ચિત છે.'

તાજેતરમાં રાજકોટની ગોંડલ ચોકડીએ રૂ. 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું. જોકે આ બ્રિજ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં ફરી વિવાદમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ આ બ્રિજના ઉપરના ભાગે જે સેફ્ટી વોલ બનાવવામાં આવી છે, તેમાં તિરાડ અને મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાબડું પડવાને લીધે અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો આ માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત થાય તેવી પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

છેલ્લા બે મહિનાથી બ્રિજ પર લટકતું ગાબડું હોવા છતાં કોઈને કાંઈ પડી નથી. હજુ પણ આ ગાબડું જોખમી રીતે લટકી રહ્યું છે. ત્યારે આ જલદીથી રિપેરિંગ થાય તેવી અમારી માંગણી છે. આમ નાગરિક માટે આ ગાબડું ખૂબ જોખમી છે. ગોંડલ ચોકડી બ્રિજ બન્યા પછી છેલ્લા બે મહિનાથી અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે.