દાંતાથી અંબાજી તરફ જતા રસ્તાઓની બંને બાજુ વૃક્ષો વવાતા રસ્તાઓ પર રોનક પથરાશેઃ ૨૦ હેક્ટર વિસ્તારમાં ૧૬,૦૦૦ રોપાઓનું વાવેતર કરાયું..

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દેશ- વિદેશમાંથી માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તોને રસ્તામાં તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે દાંતા- અંબાજી ફોરલેન રસ્તો બનાવી પદયાત્રિકોની સુવિધામાં વધારો કર્યો છે એ રસ્તાની બંને બાજુ વન વિભાગે ટ્રી ગાર્ડની સુરક્ષા સાથે વૃક્ષો વાવી રસ્તાઓને સજાવવાનું કામ કર્યું છે. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગની દાંતા રેન્જ દ્વારા દાંતાથી અંબાજી, અંબાજી માંકણચંપા રોડ સાઇડમાં કેમ્પા યોજના અંતર્ગત એસ મોડેલ હેઠળ ૨૦ હેક્ટર વિસ્તારમાં ૧૬,૦૦૦ જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ રોપાઓની સુરક્ષા માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે. મોટી સાઇઝના રોપાઓ હોવાથી ખુબ નજીકના સમયમાં અંબાજીનો રસ્તાો વૃક્ષોથી ઘેરાયેલો રળીયામણો અને સુંદર બની જશે.   

          હવે ચોમાસું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે ત્યારે વન વિભાગે રસ્તાની બંને સાઇડ વાવેલા વૃક્ષો અને તેની માવજત માટે કરેલા આ પરિશ્રમથી યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના રસ્તાઓ પર રોનક પથરાશે. ચોમાસામાં દાંતા અને અંબાજીના ડુંગરાઓ લીલા ઘાસ અને વૃક્ષોની હરીયાળીથી સોળે કળાએ ખીલી ઉઠે છે. વન વિભાગ દ્વારા રસ્તાની બંને બાજુ વૃક્ષો વવાતા અંબાજી જતા-આવતા સમયે લોકો હરીયાળીને માણી શકશે. 

          ગુજરાત રાજ્યમાં જંગલના સંરક્ષણ તેમજ હરિયાળા પ્રદેશમાં વધારો કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા સામાજિક વનીકરણ કાર્યક્રમ હેઠળ બિન-જંગલની જમીનમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવે છે. વન વિભાગના "સામાજિક વનીકરણ કાર્યક્રમ” ના લીધે વૃક્ષારોપણમાં ગુજરાત એક અગ્રણી રાજ્ય બની ગયું છે.