ડીસા (મેરૂજી પ્રજાપતિ)

તાજેતરમાં ભારત સરકારના કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના દ્વારા રાજધાની નવી દિલ્હીની હોટલ અશોકા ખાતે જળ સંચય મુદ્દે રાષ્ટ્રીય સેમિનારનું ઉમદા આયોજન કરાયું હતું. જેમાં દેશના દરેક રાજ્યોમાંથી એક એક પ્રગતિશીલ ખેડૂતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કૃષિ મંત્રાલયના સેક્રેટરી મનોજ આહુજાના અધ્યક્ષસ્થાને આયોજીત આ સેમિનારમાં ડો. હીમાંશુ પાઠક, સેક્રેટરી અનુજ કાનવલ કમિશનર જળ શક્તિ મંત્રાલય કીડવાઇ કૃષિ સચિવ અને જળ સંચય અભિયાન,અટલ ભૂજલ યોજના તેમજ જળ મંત્રાલયના દરેક રાજ્યના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત સરકારના જયપ્રકાશ શિવહરે આઇ.એ.એસ. અને જી.જી.આર.સી.ના એમ.ડી. ડો. આશુતોષ વડાવલે જી.જી.આર.સી. મેનેજર અને દિલીપભાઇ જોષી સહીત અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધી કે. ટી. માળી (ખેતાજી તેજાજી માળી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂત અને ભાજપ અગ્રણી તેમજ આજના સમયની માંગ મુજબ ડ્રીપ ઇરીગેશન (સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ) માં બનાસકાંઠા જીલ્લામાં સચોટ માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રોત્સાહીત કરનાર ખેતાજી તેજાજી માળીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સેમિનારમાં બનાસકાંઠા જીલ્લો ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે. તેમાં પણ ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતોએ ખેતીમાં 100 ટકા ડ્રીપ ઇરીગેશન અપનાવ્યું હોવાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ હતી. જેમાં યશભાગી થવા બદલ ખેતાજી તેજાજી માળીનું વિશેષ સન્માન કરાયું હતું. ત્યારબાદ આ સેમિનારમાં આયોજીત ખેડૂતલક્ષી સંવાદમાં કે.ટી. માળીએ આગામી સમયે સર્જાનારી પાણીની વિકટ સમસ્યાને નિવારવા જળ બચાવો અને અટલ ભૂજલ યોજનાની અગત્યતા સમજાવી ખેડૂતોને ટપક તથા ફૂવારા યોજનામાં પડતી અગવડતાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરી ખેડૂતોની આવક સાચા અર્થમાં બમણી કરવા વિશેષ સુચનો પણ કર્યાં હતા.સેમિનારમાં દેશભરમાંથી ઉપસ્થિત અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધીઓ દ્વારા દેશમાં જળ સંકટ નિવારવા વ્યાપકપણે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને અનેક નવી યોજનાઓને બહાલી પણ આપવામાં આવી હતી.