બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અનડીટેક ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. જેમાં પતિ-પત્ની અને વો ના ચક્કરમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર જયંતીભાઈના પત્ની સાથે પાંચેક વર્ષથી પ્રેમ સંબંધમાં નૂર મહંમદ મહેસાણીયા હતા. પતિને પોતાની પત્ની પર વહેમ જતા પ્રેમી નુર મહંમદ અને તેની પત્નીએ ભેગા મળીને જયંતીભાઈની હત્યા કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

બોર્ડર રેન્જ ભુજ જે આર મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજનાઓએ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અનડીટેક મર્ડરના ગુનો શોધી કાઢવા માટે સુચના કરતા અત્રેની એલ.સી.બી સ્​​​​​​​ટાફની ટીમ અનડીટેક ખુનના ગુના સબંધે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન અત્રેની એલ.સી.બી શાખાના અધિકારી કર્મચારીઓએ આ બનાવ સબંધે ટેકનીકલ તથા બાતમીદારો મારફતે ખાત્રી તપાસ કરતા આ કામે શકદાર નુરમહંમદ આસમભાઇ મેસાણીયાને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા પોતે જ આ ખુન કર્યું હોવાનું જણાવ્યું હતું.

​​​​આ ખુન કરવા પાછળનો હેતુ આ કામે મરણજનાર જયંતીભાઇની પત્ની સવિતાબેન સાથે પાંચેક વર્ષથી પ્રેમ સબંધ હોય અને આ મરણજનાર પોતાની પત્ની ઉપર વહેમ રાખતો હોય જેથી નુરમહંમદ મેસાણીયા તથા મરણ જનારની પત્ની સવિતાબેન બંન્ને ભેગા મળી જંયતીભાઈને કોઇપણ ભોગે પતાવી દેવાનુ નક્કી કર્યું હતં. ત્યારે ગઇ તા 14/02/2023 ના રોજ આરોપી નુરમહંમદ પોતાની ગાડી લઇ દાંતા ખાતે આવેલ અને દાંતા આવકાર હોટલની સામેથી મરણ જનારને ગાડીમાં બેસાડી પોતાના નારગઢ ખાતે આવેલ ખેતરમાં લઇ જઇ મકાઇના ખેતરમાં તેની સાથે મારપીટ કરી મકાઇના ડોકાથી મરણજનારનુ ગળુ દબાવી મારી નાખ્યો હતો. તેમજ લાશને પોતાના ખેતરમાં રહેવા દઇ રાત્રીના દસ વાગ્યાના સુમારે પોતાના ખેતરમાંથી મરણ જનારની લાશને ગાડીમાં મુકી અંબાજી હાઇવે ઉપર આવેલા હરીવાવ ગામ પાસે લાશને ફેંકી દીધી હતી. જેથી આવતા જતા સાધનો દ્વારા મરણ જનારનુ મોત અકસ્તમાતમાં ખપાવવાનો તખતો રચ્યો હતો. બનાસકાંઠા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીને જેલ હવાલે કર્યો છે.