“દ્રષ્ટિ માટે આંખ જોઇએ અને પક્ષી માટે પાંખ જોઇએ પણ અબોલ જીવોની સેવા માટે તો દીર્ઘ સેવા દ્રષ્ટિ જોઇએ.

સાબરકાંઠા જિલ્લા પ્રફુલભાઈ પટેલ એટલે અનોખા જીવદયા પ્રેમી

દિકરીના જન્મ દિવસે અંબાજી ખાતે પક્ષીઘરનું વિતરણ કરી નવી દિશા ચિંધી

    સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા પ્રફુલભાઈ પટેલ દ્રારા ઉતરાયણ પછી રસ્તાઓ શેરી મહોલ્લામાં નકામી પડેલી દોરીનો જથ્થોના બદલામાં પક્ષીઘરનું વિતરણ કર્યું હતું. આમ તેમણે ૪૦ કિલો દોરીનો જથ્થો એકત્ર કરીને નષ્ઠ કર્યો હતો. જેથી કરી અનેક પક્ષીઓના જીવન બચાવ્યા અને પક્ષીઓને રહેઠાણ આપ્યા છે.  

      મૂળ અરવલ્લીના અને હાલ પ્રાંતિજ સ્થાયી થયેલા પ્રફૂલભાઇ જણાવે છે કે, પહેલે થી જ પ્રકૃતિ પ્રત્યે ખુબ જ લગાવ ધરાવે છે. હાલમાં પર્યાવરણના બદલાવના અને મોર્ડનાઇઝેશનની આંધળી દોટ વચ્ચે નાના-નાના પક્ષીઓ પોતાનો પરીવેશ અને પર્યાવરણ ખોઇ બેઠા છે. જેના કારણે આજે નાની ચકલીઓ અને પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે. આ પક્ષીઓને બચાવા માટે કાંઇ કરવાની ઇચ્છાથી અને પક્ષીઓનો અભ્યાસ કરીને તેમને અનુકૂળ પક્ષીઘર ડીઝાઇન કરી બનાવ્યું છે.   

      તેઓ તેમના ઘરમાં બાળકોના જન્મદિન નિમિત્તે પક્ષીઘરનું વિતરણ કરે છે. હમણા તેમની દિકરીના જન્મ દિવસ નિમિત્તે તેમણે પરીવાર સાથે અંબાજી ખાતે જઈ ૭૧ જેટલા પક્ષી ઘર અંબાજી ગબ્બર ખાતે જુદી-જુદી જગ્યાઓ પર લગાવ્યા હતા. કોઈ વ્યક્તિને સારા નરસા પ્રસંગે ગિફ્ટમાં આપવા માટે પક્ષીઘર ખૂબ જ નજીવા દરે આપીને સેવાનું કામ કરી રહ્યા છે. દીકરાના જન્મદિવસે દિકરાની સ્કૂલમાં ૨૦ જેટલા પક્ષીઘર શિક્ષકોને અને બાળકોને વિતરણ કર્યા હતા. 

       પ્રફૂલભાઇની પ્રવૃતિથી પ્રેરણા મેળવી લોકો પોતાના જન્મ દિવસ પર અને લગ્નની વર્ષગાંઠ પર તેમની પાસેથી પક્ષીઘર ખરીદીને પોતાના સગાસંબંધીઓને પક્ષીઘરનું વિતરણ કરતા થયા છે. પ્રફૂલભાઇ પાસે મોટા પક્ષી કબૂતર, હોલા જેવા પક્ષીઓ માટે પણ અલગ પ્રકારની ડીઝાઇન વાળા ઘર રાખે છે. ઘર હોય તો પક્ષીને ચણ પણ જોઇએ તેના માટે બર્ડ ફિડરનું વેચાણ કરે છે. 

        પ્રફૂલભાઇ હિંમતનગરના બેરણા રોડ પર નાઈસ એન્ટરપ્રાઇઝ કરીને એક નાનકડી દુકાન ઘરાવે છે. જ્યાં તેઓ પક્ષીઘરનું નજીવા દરે અને હોલસેલમાં વેચાણ કરી પ્રકૃતિ સાથે જોડાઈ રહેવા માટે અને પક્ષીઓને ઘર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.