જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા,પાલનપુર,ભીલડી ખાતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરાયા બાદ તારીખ 2-2-2023 ને ગુરૂવારે દિયોદર ખાતે પણ ગૌસેવા હેતુ ભજનો શરૂ કરાવવામાં આવેલ છે.દિયોદરનાં ખૂબ જ જલારામપ્રેમી એવાં શ્રીમતી ભારતીબેન અમૃતભાઈ ભચુભાઈ રાજદે પરિવારના નિવાસસ્થાને ધામધૂમપૂર્વક ભજન થતાં તેમાં ડીસાથી 101 જલારામ ભકતોએ ખાસ હાજરી આપી હતી.

    પૂજ્ય જલારામ બાપાના ભજનના લીધે સમગ્ર દિયોદર હિલોળે ચડયું હતું તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.દિયોદરના જલારામ સેવકો મનુભાઈ મોઝરૂવાળા,ડો.દિપકભાઈ ઠકકર,ઘનાભાઈ ઠકકર,સોમાલાલ ઠકકર,નરેશભાઈ ડી.મજેઠીયા,ધીરૂભાઈ હાલાણી,જગુભાઈ તન્ના,દીલીપભાઈ કાનાબાર,ડો.સુરેશભાઈ પૂજારા,અરવિંદભાઈ હાલાણી,રાજુભાઈ વકીલ સહિત અનેક અગ્રણીઓએ ખાસ હાજર રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના ભગવાનભાઈ બંધુએ ભજનનો હેતુ ધર્મરક્ષા,સંસ્કાર જાગૃતિ અને ગૌસેવાનો જ છે તેમ જણાવતાં આગામી 36 ગુરૂવારનાં ભજન સ્થળ ઉપર જ નોંધાયાં હતાં.