બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળ સંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વિઠોદર- તાલેગઢ ગામે જુના કુવા અને ટ્યુબવેલ આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ રિચાર્જ કરવા માટે મનરેગા અંતર્ગત 111 ખેડૂતોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ડીસા તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારોમાં પાણીના તળ ખૂબ જ ઊંડે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંતર્ગત હવે સરકાર અને ખેડૂતોએ સાથે મળી જળ સંચય માટેનું ભગીરથ અભિયાન હાથ ધર્યું છે.

ડીસા તાલુકાના વિઠોદર- તાલેગઢ ગ્રામ પંચાયતમાં આજ રોજ ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે 111 ખેડૂતોને જુના કુવા અને બોર રિચાર્જ માટે પત્ર એનાયત કરાયા હતા. આ ખેડૂતો સરકારની સહાયની મદદથી તેમના ખેતરમાં બોર અને ટ્યૂબવેલ રિચાર્જ કરશે, જેના થકી આવનારા સમયમાં પાણીના તળ ઊંચા આવશે અને તેમની સિંચાઈ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ પ્રસંગે વિઠોદર સરપંચ શિલ્પાબેન હસમુખભાઈ ઠાકોર, ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 ધારાસભ્ય પ્રવીણ માળી અને આગેવાનોએ બુરાલ ગામના ખેડૂત માધાભાઈ ચૌધરી અને શાંતિભાઈ ચૌધરીના ખેતરે જઈ ખેત તલાવડીનું મુહુર્ત કરવામા આવ્યું હતું.