આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની શપથ વિધી યોજાઈ હતી. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પત્રકારો સમક્ષ પાટીદારો પર થયેલા કેસોને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઋષિકેશ પટેલ સાથે થોડા દિવસ પહેલાં જ વાતચીત થઈ હતી. હવે સરકારની સાથે રહીને કાયદાની પ્રક્રિયા પ્રમાણે પાટીદારોના કેસો અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

*આગામી સમયમાં કેસ પરત ખેંચવા અંગે નિર્ણય લેવાશે*

હાર્દિક પટેલે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, મારી પર હાલમાં 28 કેસ છે. અત્યારે વિપક્ષની ભૂમિકા જ નથી રહી, જેથી અમે જ સરકાર અને વિપક્ષ બંનેની ભૂમિકા અદા કરીશું. સરકારની સાથે રહીને લોકોની સેવા કરીશું. જેથી આગામી સમયમાં પાટીદારો પર થયેલા કેસો અંગે પણ નિર્ણય લેવાશે. 

*PAASનો વિરોધ છતાં હાર્દિક પટેલની જીત*

ચૂંટણી પહેલાં પણ પાટીદાર આંદોલન સમિતીએ વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. PASS દ્વારા કેટલીક માંગો રાખવામાં આવી હતી. જે પૂર્ણ કરવામાં નહીં આવે તો વિરોધ થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પરંતુ હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી જીતી જતાં હવે પાટીદાર આંદોલનનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. 

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર