કડી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં 6 દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ હિત ચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મહેસાણા શહેરથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની અંદર અંદાજિત 60 હજારથી પણ વધુ હિન્દુ હિતચિંતક બનાવવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં હિન્દુ હિત ચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના મહેસાણા જિલ્લા અધ્યક્ષ દિનેશ પટેલે જણાવ્યું કે, હિત ચિંતક એટલે જેના હૃદયમાં રામ હોય, જેના કાર્યમાં શ્યામ હોય, જેનો ઉદ્દેશ્ય ધર્મ સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણ હોય.

કડી શહેરમાં પણ શ્રી વડવાળા હનુમાનજી મંદિરેથી આ અભિયાન શરૂ કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેમાં દુર્ગાવાહીનીની બહેનો પણ જોડાઈ હતી અને પેમ્પ્લેટ આપી લોકોને આ અભિયાન વિશે સમજાવ્યા હતા. સાથે જ આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે લોકજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. કડીમાં 2000 થી વધુ લોકો હિતચિંતક અભિયાનમાં જોડવાનો હેતુ છે.