બહુચરાજી બેઠક પર ભાજપે 60 વર્ષીય ડૉ. સુખાજી ઠાકોર નવો જ ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. આ બેઠક માટે પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રબળ દાવેદાર મનાતા હતા અને તેમણે ચૂંટણી અગાઉ જ ગામે ગામ લોકસંપર્ક શરૂ પણ કરી દીધો હતો. આથી સુખાજીની પસંદગીથી ખુદ ભાજપના કાર્યકરો પણ અચંબામાં પડી ગયા હતા. સુખાજીને ટિકિટ મળ્યાની જાણ તેઓ ખેતરમાં હતા ત્યારે થઇ હતી. બીજી બાજુ, પ્રબળ દાવેદાર મનાતા રજની પટેલના સમર્થકો ભડક્યા ઊઠ્યા હતા.

રજની પટેલને ટિકિટ આપવાને બદલે હવે ઠાકોર સમાજ માંથી આવતા સુખાજીને ભાજપે બેચરાજી વિધાનસભાથી ટિકિટ આપી છે. ત્યારે હવે બેચરાજીમાં પણ ઠાકોર- ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કારણ કે હાલમાં બેચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય પણ ઠાકોર સમાજથી આવે છે. ત્યારે ભાજપે પણ તેઓની સામે ઠાકોર સમાજના જ ચહેરાને મેદાને ઉતારતા આગામી ચૂંટણી રસપ્રદ બનશે.

સુખાજી ઠાકોરની આ કારણોસર પસંદગી થઇ

- બેઠકમાં સૌથી વધુ મતદારો ઠાકોર-ક્ષત્રિય અને બીજા ક્રમે પાટીદારોના છે. 84 ઠાકોર સમાજના મહત્તમ મત છે. સુખાજી આ સમાજના છે.
- જિલ્લાની 7 બેઠકો પૈકી 4 બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. કડી એસસી અનામત બેઠક છે. બહુચરાજીમાં ઠાકોર સમાજને ટિકિટ આપી સામાજિક સમીકરણ જાળવી લેવાયું.
- 20 વર્ષથી ભાજપના કાર્યકર છે. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, સામાજિક સંગઠનો અને એનજીઓ સાથે જોડાયેલા છે.