પૂર્વ મુખ્યમંત્રી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત..
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર પાઠવી કરી જાણ
ગણતરીની મિનિટોમાં જ ભાજપના બે ટોચના નેતાએ ચૂંટણી નહીં લડવાની કરેલી જાહેરાતથી ભારે ચર્ચા

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના મૂરતિયા જાહેર કરવાની તૈયારીમાં છે. આ જાહેર થનારા લિસ્ટમાં મોટાભાગના પૂર્વ મંત્રીઓની ટિકિટ કપાઈ શકે તેમ છે, ત્યારે આંતરિક વિરોધ થવાની સંભાવના વચ્ચે ભાજપે નવી રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભાજપ હવે જે પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપવાનું છે, તેમની પાસેથી જ તેમના લેટર પેડ પર જાહેરાત કરાવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. તેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

ભાજપે આગ લાગે એ પહલાં જ એક કાંકરે બે પક્ષી માર્યાં છે. હવે આ બંને નેતાઓને મોટી જવાબદારી આપીને વિધાનસભાની ચૂંટણીમાંથી સાઈડ કરી દીધાં છે. અગાઉ વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. હવે નીતિન પટેલને પણ બીજા રાજ્યમાં મોટી જવાબદારી આપીને ગુજરાતની ચૂંટણીમાંથી દુર રાખવામાં આવશે. 

ભાજપ કોર કમિટીની બેઠકમાં ફેરફાર કરાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા છે.