ચૂંટણી નાં સમયે કચ્છ કોંગ્રેસ ને લાગ્યો ફટકો. એક પછી એક રાજીનામા પડતા કોંગ્રેસ પાર્ટીને લાગ્યો છે આંચકો. ભુજ નગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતાની કોંગ્રેસ પાર્ટીમાં સતત થતી અવગણના ને કારણે રાજીનામું આપ્યું હતું.

એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસનું કડ વધારવા આગળ ધપી રહ્યા છે ત્યારે કચ્છ મા કોંગ્રેસ તૂટી રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યુ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એક પક્ષમાં થી બીજા પક્ષમાં જોડાઈ જનારા ઘણા લોકો હોય છે. પરંતુ અહીં એવું નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અને વફાદાર નેતાઓ જેણે અનેક જગ્યાએ હરીફ પક્ષ ને હંફાવ્યા હોય તેવા કદાવર નેતાએ રાજીનામું આપતા કચ્છનું રાજકારણ ગરમાયું છે.

કચ્છના પાટનગર ભૂજમાં કોંગ્રેસના કદાવર નેતા રજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ તેમના રાજીનામા માં જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ દ્વારા સતત થતી અવગણના નો ભોગ બનવા નાં કારણે પોતે રાજીનામું આપી દીધું છે. આપને જણાવી દઈએ કે, તેઓ અન્ય પક્ષ સાથે જોડાશે કે કેમ? તે અંગે કોઈ માહિતી મળી નથી.

કચ્છ કોંગ્રેસના કદાવર નેતા રાજેન્દ્રસિંહ જાડેજા કેશવનગર ગ્રામ પંચાયતના બિન હરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આજે જ્યારે તેમણે કચ્છ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમના સપોર્ટમાં અન્ય ૧૬ જેટલા કોંગ્રેસી નેતાઓએ પણ રાજીનામા આપી દીધા છે. એક બાજુ કોંગ્રેસ પાર્ટીનો દેખાવ નબળો હોય છે ત્યારે આ વખતે એક સાથે સતર રાજીનામા કોંગ્રેસ પાર્ટી પ્રમુખને અપાયાના કારણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કેવો દેખાવ કરશે? તેના પર સૌની મીટ મંડાઇ છે.

અહીં આપને જણાવી દઈએ કે, આજે અપાયેલા રાજીનામા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને અપાયા છે. જોકે ગાંધીધામના કોંગ્રેસી નેતા હાજી જુમા રાયમા એ પણ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જણાવ્યું હતું કે, "વફાદાર લોકોની નારાજગી દૂર થવી જોઈએ. વફાદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણી એ કરેલા આક્ષેપો સાચા છે અને હું તેને સમર્થન આપુ છું. જો આવા નેતા જતા રહેશે તો સંગઠન જેવું કંઈ રહેશે નહીં અને લશ્કર ક્યાં લડે છે તેની ખબર નહિં પડે"

હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. આજના આ રાજીનામાનો દૌર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.