અમદાવાદ

શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. એમાંય પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર અણબનાવોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે શહેરમાં રહેતી પરણીતાને પતિ અવારનવાર ખોટી શંકા રાખી માર મારી ત્રાસ આપતો હતો.એટલું જ નહીં પતિ દારૂની ટેવે ચડી હેરાન કરતા અંતે પરણીતાં કંટાળી જતા રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચી જતા અભયમે તેનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી હતી.
શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલા તેની નવ વર્ષની દિકરી અને પતિ સાથે રહે છે. લગ્નના 10 વર્ષ થઈ ગયા હોવા છતા પતિ અવાર નવાર ખોટી શંકા રાખીને મારઝુડ કરી ત્રાસ આપતો હતો. જો કે પતિ ધીરે ધીરે સુધરી જશે તેવુ વિચારીને મહિલા પતિનો ત્રાસ સહન કરવા લાગી હતી. પરંતુ પતિ દારૂની ટેવે ચઢી જતા રોજ ઘરે આવીને મારઝુડ કરી હેરાન કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં જો પિયરમાં આ અંગેની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેથી મહિલા કંટાળી ગઈ હતી અને અંતે તેણે આપઘાત કરવાનો વિચાર કરીને રીવરફ્રંટ ખાતે પહોંચી હતી. જો કે એક જાગૃત નાગરીકે અભયમને કોલ કરી કહ્યું હતું કે એક મહિલા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી છે. જેથી કોલના આધારે અભયમની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.બાદમાં યુવતીની પુછપરછ કરી હતી. બાદમાં તેનુ કાઉન્સેલીંગ કરી તેને આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.