બનાસ ડેરીના બાયો CNG પ્રોજેક્ટમાં મારુતિ સુઝુકી કંપનીએ દાખવ્યો રસ..

બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મારુતિ સુઝુકી કંપની ના ડિરેક્ટર અને જાપાની અધિકારીઓ એ યોજી મીટીંગ..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વેસ્ટ માંથી વેલ્થ” મિશનને સાકાર કરતી બનાસ ડેરી: ચેરમેન શંકરભાઈ ચૌધરી

પાંચ મહિના પહેલા પણ મારુતિ સુઝુકી કંપનીના અધિકારીઓએ દામા ખાતે આવેલા બનાસ બાયો CNG પ્લાન્ટની લીધી હતી મુલાકાત..

કંપનીએ રિસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની તૈયારી બતાવી..

પરિવહનમાં ગ્રામીણ ક્ષેત્રે ફ્યુઅલ ખર્ચ ઘટાડવા માટેનો કંપનીનો મુખ્ય ઉદ્દેશ..

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો સી.એન.જી પ્લાન્ટ શરુ કરવાનો જે સફળ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, એમના આ નવતર પ્રયોગથી પ્રેરિત થઈને જાપાનની સુઝુકી કંપનીના ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓએ બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મીટીંગ યોજીને સવિસ્તાર ચર્ચા કરી હતી. પાંચ મહિનામાં મારુતી સુઝીકી કંપનીના અધિકારીઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે. પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરવામાં આવ્યું હતું..

 છાણમાંથી પશુપાલકોને આવક આપવાના ઉમદા અભિગમ સાથે શરુ કરાયેલ બનાસ બાયો CNG પ્લાન્ટ અને એમાં વપરાયેલ ટેક્નોલોજીનો સવિસ્તાર અભ્યાસ કરીને જાપાનની સુઝુકી કંપનીએ બાયો CNG ને અનુરૂપ પોતાના વાહનો બનાવવા તેમજ એજ વાહનોને વાહન ચાલાક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટેના રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. 

ગામડાઓમાં સ્વચ્છતા બની રહે તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાહન ચલાવવા માટે ઈંધણના સ્વરૂપમાં કામ આવે છે, એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે, એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી..

જાપાન ની સુઝુકી કંપનીના શ્રી કેનીચીરો ટોયોફૂંકું (ડિરેક્ટર CPP), શ્રી કોજીમા સાન (SMG-Japan) શ્રી યામાનો સાન (SMG-Japan), શ્રી પરિક્ષેત મૌની (વાઇસ પ્રેસિડેંટ), શ્રી સંજયભાઈ પઢીયાર (મેનેજર) અને શ્રી અખિલેશ સિંહ (મેનેજર) એ મુલાકાત લીધી હતી..

તાજેતરમાં જ બાયોગેસના આયોજનથી એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે બનાસડેરી દ્વારા ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે ગોબર ગેસ સ્ટેશન ઉભા કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેનું ઈ-ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથે કરવામાં આવ્યું હતું. આ ચાર સ્થાનો પર ૧૦૦ ટન ગોબરની પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે..