રાજકોટ: વાંકાનેરમાં નદીમાંથી એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. વાંકાનેરના પટેલ પેટ્રો ફાર્મ નજીક આસો નદીમાં અજાણ્‍યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્‍યો હતો. આશરે ૪૦ વર્ષના અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ ફુલાઇ ગયો હોઇ અને કોહવાઇ ગયો હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

બનાવ આત્‍મહત્‍યાનો છે કે અન્‍ય કોઇ રીતે મોત થયા બાદ લાશ નદીમાં ફેંકી દેવાઇ? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. મૃતકે લીલુ ટી-શર્ટ અને કાળુ પેન્‍ટ પહેર્યુ છે. કોઇ વાલીવારસ હોય તો વાંકાનેર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.