પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. 

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૧મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન તારીખ ૨૬/૦૯/૨૦૨૨ થી ૫/૧૦/૨૦૨૨  દરમ્યાન ઉજવવામાં આવશે. સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૯:૦૦થી "શ્રીરામચરિતમાનસ" નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩:3૦ વાગ્યેથી પ્રતિદિન પરમ પૂજ્ય શ્રી રાઘવાચાર્યજી મહારાજના વ્યાસાસનથી "શ્રી વાલ્મીકિ રામાયણ કથા" ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે.  શારદીય નવરાત્રિ અંતર્ગત  શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે.
  
 સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ
શારદીય નવરાત્રિ મહોત્સવમાં વિશેષત: તારીખ:- ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ બપોર બાદ ૩:૩૦થી ૨૬મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજ્ય શ્રી રમેશબાબાજી મહારાજ, વ્રજ, ગોકુલને દેવર્ષિ એવોર્ડ, આચાર્યશ્રી પ્રોફેસર રામચંદ્ર ભટ્ટ, બેંગ્લોરને બ્રહ્મર્ષિ અવોર્ડ, શ્રેષ્ઠીવર્ય પદ્મશ્રી બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડ અને સરદાર કન્યા વિદ્યાલય એવં છાત્રાલય, બારડોલી, સુરતના સુશ્રી નિરંજનાબેન કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ પૂજ્ય ભાઇશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. જેનું લાઈવ ટેલીકાસ્ટ sandipani.tv  યુ-ટયુબ ચેનલ પર થશે. 

શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા. ૨૮-૦૯-૨૨ના રોજ કરુણામયી માતાજીના નૌકાવિહાર, તા.૦૧-૧૦-૨૨ ના રોજ જલ પુષ્પાભિષેક,  તા. ૦૩-૧૦-૨૨, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે.
તારીખ ૦૫/૧૦/૨૦૨૧, વિજયાદશમીના અવસરે સાંદીપનિ  યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તેમજ વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે અને સાયંકાલે ૫:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજ્ય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે.

વિશેષ પૂજા-અનુષ્ઠાન મનોરથ
શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વૈદિક ટીમ દ્વારા સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથ સંપન્ન થશે. આ મનોરથમાં ભાવિકો જોડાઈ શકે છે. જેમના માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે. 

સાંસ્કૃતિક કાર્યક્રમ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન તા.૦૪-૧૦-૨૦૨૨, મંગળવારના રોજ પોરબંદરની આગવી ઓળખ એવા વિશ્વપ્રસિદ્ધ મહેર દાંડિયા રાસ યોજાશે. આ સિવાય દરરોજ સાંજે શ્રીહરિ મંદિરના પરિસરમાં રાસ-ગરબા યોજાશે. 

વિવિધ મેડીકલ કેમ્પ 
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ:- ૨૬/૦૯/૨૦૨૨ થી ૦૪/૧૦/૨૦૨૨ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી દંતયજ્ઞ કેમ્પ, તારીખ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૮:30 થી ૧૨:30 સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 
તારીખ ૦૧/૧૦/૨૦૨૨ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાનાર  પલ્મોનોલોજીકેમ્પ જેમાં રાજકોટના જાણીતા ડૉ.જયેશભાઈ ડોબરીયા તથા  એન્ડોક્રાઈનોલોજી કેમ્પમાં અમદાવાદના ડૉ.વિવેકભાઈ આર્ય પોતાની સેવા આપશે. આ બન્ને કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી રાખવામાં આવેલ છે. તમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી તથા ડૉ. ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર 97122 22000 છે. 

સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી શ્રીમતી દિવ્યાબેન અરુણભાઈ લોઢીયા, દાર-એ-સલામ, ટાન્ઝાનીયા છે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં યોજાનારા અનુષ્ઠાન, કથા-શ્રવણ અને દરેક મનોરથ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે. દરેક કાર્યક્રમોનું sandipani.tv  યુ-ટયુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.